અમદાવાદ : પંજાબમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીતની ઉજવણી ગુજરાતમાં પણ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ તકે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ અને પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતેલા સભ્યોને સન્માન પત્ર અર્પણ કરી તેમને સન્માનિત કરાયા. આ તકે AAP નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં સરકાર બન્યા બાદ શિક્ષણ, આરોગ્ય, રોજગારી સહિતના વિવિધ ક્ષેત્રોમાં થયેલા વિકાસલક્ષી કામોને જનતાએ સ્વીકાર્યા છે અને તેનું પરિણામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જોવા મળ્યું છે. તેમણે જણાવ્યું હતું કે તાલુકા અને જિલ્લા પંચાયતથી લઈને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આમ આદમી પાર્ટીએ જંગી સફળતા મેળવી છે અને જનતાએ ભાજપ તથા કોંગ્રેસના વર્ષોથી ચાલતા શાસનને નકારી કાઢીને કામની રાજનીતિ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
આપ નેતા નિરંજન વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે પંજાબમાં ભગવંત માન સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસકાર્યોના કારણે લોકોનો વિશ્વાસ આમ આદમી પાર્ટી તરફ વધ્યો છે. તેમણે કહ્યું હતું કે ગુજરાત હોય, પંજાબ હોય કે દેશના અન્ય વિસ્તારો, જનતા હવે જાગૃત બની રહી છે અને ભાજપની લાલચ તથા જૂની રાજનીતિથી કંટાળી વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને પસંદ કરી રહી છે. પંજાબની ચૂંટણીમાં મળેલી જંગી જીતની ખુશીમાં નર્મદા જિલ્લા કાર્યાલય ખાતે કાર્યકરો, પદાધિકારીઓ અને આગેવાનોની હાજરીમાં ફટાકડા ફોડી અને આતશબાજી કરીને ઉજવણી કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે પંજાબમાં મળેલી આ ઐતિહાસિક જીત સમગ્ર દેશ માટે કામની રાજનીતિની જીત છે અને તેના આનંદમાં નર્મદા જિલ્લામાં પણ ઉલ્લાસભેર સ્વાગત અને ઉજવણી કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટી ગુજરાત