અમદાવાદ / રાજકોટ / મોરબી / ગુજરાત : આમ આદમી પાર્ટીના કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, ખેડૂત નેતા પંકજ રાણસરિયા અને રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરા આજે પડધરી ખાતે ખેડૂતોની માંગોને લઈને ચાલી રહેલ ત્રણ દિવસીય પ્રતિક ઉપવાસ આંદોલનને સમર્થન આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે જણાવ્યું હતું કે ગુજરાતમાં ટ્રાન્સમિશન લાઈનને લઈને આંદોલન ચાલી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને ટ્રાન્સમિશન લાઈનની વિરુદ્ધમાં ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા પડધરી ખાતે ત્રણ દિવસીય પ્રતિક ઉપવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હું, મારી સાથે ખેડૂત નેતા પંકજ રાણસરીયા, રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરા, વશરામભાઈ સહિત અનેક આગેવાનોએ ખેડૂતોની મુલાકાત લીધી અને ખેડૂતોના સમગ્ર આંદોલનને સમર્થન આપ્યું છે. ખેડૂતોની માંગ યોગ્ય છે અને ખેડૂતોને પોતાની જમીન છે, આ જમીનમાં સરકાર કોઈપણ જાતની બળજબરી ન કરી શકે.
આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોની જે પણ માંગો છે તેને લઈને સરકારે ત્વરિત નિરાકરણ લાવવું જોઈએ. સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો છે એ પરિપત્ર ખેડૂતલક્ષી નથી પરંતુ એ કંપનીલક્ષી પરિપત્ર છે. એટલા માટે ગુજરાતના ખેડૂતોનું આંદોલન યથાવત છે અને એટલા માટે જ આજે પડધરીમાં પણ આ આંદોલન ચાલુ છે. ગુજરાતના ખેડૂતોને પણ અભિનંદન આપું છું કે તેમની સાથે જે અન્યાય થયો છે તેની સામે અને સત્તા સામે તેઓએ અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે. આ દેશમાં બારડોલી, ખેડા, ચંપારણ જેવા અનેક સત્યાગ્રહો ખેડૂતો માટે થયા છે અને ખેડૂતોને સારા પરિણામો પણ મળ્યા છે. તો મને વિશ્વાસ છે કે આજે પડધરી મુકામે જે આંદોલન ચાલી રહ્યું છે, જેતપરમાં જે આંદોલન ચાલી રહ્યું છે, કોંઢમાં જે આંદોલન ચાલી રહ્યું છે, આ તમામ આંદોલનોમાં ખેડૂતો સફળ થશે અને જરૂર પડશે ત્યાં પ્રવીણ રામ સહિત સમગ્ર ટીમ રાજકીય અને બિન રાજકીય સ્તરે તમામ પ્રકારની લડાઈ લડવા માટે તૈયાર છે.
આમ આદમી પાર્ટી ગુજરાત