અમદાવાદ : કેન્દ્ર સરકારે પરીક્ષાના સંચાલન અને મૂલ્યાંકન પ્રક્રિયામાં રહેલી ટેકનિકલ તથા વ્યવહારુ ખામીઓ માટે જવાબદારી નક્કી કરતાં CBSEના ચેરમેન રાહુલ સિંહ અને સચિવ હિમાંશુ ગુપ્તાની તાત્કાલિક અસરથી બદલી કરી. આ મામલે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રભારી ગોપાલ રાયએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે આજે સમાચાર આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારમાં ધોરણ 12ની CBSE બોર્ડની પરીક્ષા બાદ જે રીતે ઉત્તરવહીઓના પાનાંની અદલાબદલી થઈ હતી, તેની જવાબદારી નિર્ધારિત કરતાં CBSEના ચેરમેન અને સેક્રેટરીને હટાવી દેવામાં આવ્યા છે. પરંતુ શું માત્ર CBSEના ચેરમેન અને સેક્રેટરીને હટાવી દેવાથી જવાબદારીઓ પૂર્ણ થઈ જાય છે? CBSEના ચેરમેનને હટાવી દેવામાં આવ્યા, સેક્રેટરીને હટાવી દેવામાં આવ્યા. પરંતુ NEETમાં થયેલી ગેરરીતિઓ માટે જવાબદાર લોકો કોણ છે? SSCમાં જે પ્રકારની અવ્યવસ્થા ફેલાઈ તેના જવાબદાર કોણ છે? અને હાલમાં કેન્દ્રીય યુનિવર્સિટીઓની પ્રવેશ પરીક્ષા CUETમાં જે અફરાતફરી મચી છે તેના માટે જવાબદાર કોણ છે?
’આપ’ ગુજરાત પ્રભારી ગોપાલ રાયએ વધુમાં જણાવ્યું હતુ કે આખો દેશ જ્યારે પ્રશ્ન પૂછે છે, આખો દેશ જ્યારે માંગ કરી રહ્યો છે કે શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહી છે, ત્યારે સરકાર માત્ર લીપાપોતી કરી રહી છે. આજે પરીક્ષાના પ્રશ્નપત્રો પહોંચાડવા માટે સેનાના જવાનોને બોલાવવા પડે છે, વાયુસેનાના હેલિકોપ્ટરોનો ઉપયોગ કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં જ્યારે સમગ્ર દેશ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યો છે, ત્યારે સરકાર જવાબદારી સ્વીકારવાને બદલે માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરી રહી છે. દેશ જાણવા માંગે છે કે વડાપ્રધાન હજુ કેટલો સમય મૌન રહેશે? અને આ તમામ ગેરવ્યવસ્થાઓ માટે જવાબદાર શિક્ષણ મંત્રીને ક્યારે હટાવવામાં આવશે? આ દેશ જાણવા માંગે છે. સમગ્ર દેશ તેમના જવાબની રાહ જોઈ રહ્યો છે.