અમદાવાદ / ગુજરાત : આમ આદમી પાર્ટી OBC પ્રદેશ પ્રમુખ પિયુષ પરમારે જણાવ્યું હતું કે આ ગુજરાત સરકાર ખેડૂતોને ભ્રમિત કરનારી અને ખેડૂતો વિરુદ્ધની સરકાર છે. આ માત્ર મારો આક્ષેપ નથી, પરંતુ હું પ્રમાણ સાથે વાત કરું છું. ગુજરાત સરકારે ટેકાના ભાવે બાજરી તથા મકાઈની ખરીદી કરવાની જાહેરાત કરી હતી અને ખરીદી કેન્દ્રો પણ શરૂ કર્યા હતા. સરકાર દ્વારા ખેડૂતોને એવું કહેવામાં આવ્યું હતું કે જેટલું ઉત્પાદન થયું હશે તેટલું ઉત્પાદન ખરીદવામાં આવશે. પરંતુ હવે એક નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે માત્ર 100 મણ બાજરી અને 75 મણ મકાઈ જ ખરીદવામાં આવશે. આ રીતે ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. પહેલાં ખેડૂતોના નામે વાહવાહી લૂંટવી અને પછી ખેડૂતોને તેમના હક્કનું ન આપવું, એ સરકારની ખેડૂત વિરોધી નીતિ દર્શાવે છે. આજે જ્યાં જ્યાં ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે ત્યાં ખેડૂતોમાં નિરાશા અને સન્નાટો જોવા મળી રહ્યો છે. ખેડૂતોને પોતાનું પાક ઉત્પાદન થયું છે, તો હવે અડધો પાક સરકારના ખરીદી કેન્દ્રમાં વેચવો કે અડધો ખુલ્લા બજારમાં વેચવો, તે એક કઠિન નિર્ણય બની ગયો છે.
’આપ’ નેતા પિયુષ પરમારે વધુમાં જણાવ્યું હતુ કે હું ખેડૂતોને વિનંતી કરવા માંગુ છું કે સરકારના આ નિર્ણય સામે આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે ઉભી છે. હું સરકારને પ્રશ્ન પૂછવા માંગુ છું કે જ્યારે પેટ્રોલ, ડીઝલના ભાવ વધી ગયા છે અને ખેડૂતોનો પાક પણ તૈયાર થઈ ગયો છે, ત્યારે હવે તમે માત્ર 100 મણ બાજરી અને 75 મણ મકાઈ ખરીદવાની વાત કરો છો, તો તેમાં ખેડૂતોને ક્યાં ન્યાય મળી રહ્યો છે? હું ખેડૂત સંગઠનોને પણ વિનંતી કરું છું કે હવે એકજૂથ થવાનો સમય આવી ગયો છે. ખેડૂતોને જ્યાં જ્યાં અન્યાય થાય છે ત્યાં અવાજ ઉઠાવવો પડશે અને ખેડૂતોના હક્ક માટે સંઘર્ષ કરવો પડશે.
આમ આદમી પાર્ટી ગુજરાત