અમદાવાદ : આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ ધોળકા તાલુકાના સરગવાળા ગામ મુકામે પહોંચીને ખેડૂતોની મુલાકાત લીધી હતી અને તેમની વેદના તથા સળગતી સમસ્યાઓ જાણી હતી. છેલ્લા સાત દિવસથી આંદોલન ચલાવી રહેલા સ્થાનિક ખેડૂતોની સહમતિ વગર અને એક પણ રૂપિયાનું વળતર આપ્યા વિના, તેમની કિંમતી જમીનોમાંથી ગેરકાયદેસર રીતે ગેસ લાઇન પસાર કરવાના આક્ષેપ સાથે સમગ્ર ૧૦ ગામના ખેડૂતો ત્યાં એકઠા થયા હતા. આ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોની સાથે બ્રિજરાજ સોલંકી પણ ઉપવાસ પર બેઠા હતા અને નારો લગાવ્યો હતો કે, "ખેડૂતોના ખેતરમાં ગેસ પાઇપ લાઇન નાખવાનું બંધ કરો." આક્રોશ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોએ કોઈનાથી પણ ડરવાની કે ગભરાવાની જરૂર નથી અને આ ગેરકાયદેસર કામગીરી સામે આપણે મક્કમતાથી સરકારના કાન સુધી અવાજ પહોંચાડવાનો છે.
આ કાર્યક્રમમાં ’આપ’ નેતા બ્રિજરાજ સોલંકી પોતે આ પીડિત ખેડૂતોની પડખે રહીને આંદોલન પર બેસી ગયા છે. જ્યાં સુધી ધોળકા તાલુકાના સરગવાળા સહિતના તમામ ૧૦ ગામોના ખેડૂતોને ન્યાય નહીં મળે અને સરકાર આ ગેસ લાઇન આગળ ન વધારવા અંગેની લેખિત બાંહેધરી નહીં આપે, ત્યાં સુધી સરગવાળા ગામ ખાતે આ બિનરાજકીય આંદોલન સળંગ ચાલુ રાખવામાં આવશે. કાર્યક્રમમાં તમામ વડીલો અને યુવાનોની હાજરીમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, હજારોની સંખ્યામાં લોકો આ લડતમાં જોડાશે અને જ્યાં સુધી સરકાર ઝૂકીને ખેડૂતોના ખેતરમાં ગેસ પાઇપ લાઇન નાંખવાનું બંધ કરો ની માંગ સ્વીકારી લેખિત ખાતરી નહીં આપે, ત્યાં સુધી ઈંટનો જવાબ પથ્થરથી આપીને આ સંઘર્ષ ચાલુ રાખવામાં આવશે.
આમ આદમી પાર્ટી ગુજરાત