અમદાવાદ : આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે એક વીડિયોના માધ્યમથી એક ગંભીર મુદ્દા પર પોતાની વાત કરતા જણાવ્યું હતું કે, એક તરફ સરકાર દ્વારા કહેવામાં આવે છે કે ડીઝલની કોઈ અછત નથી અને બીજી તરફ સરકાર દ્વારા 200 લીટરની મર્યાદા મૂકવામાં આવી છે, તો સરકારને મારો સવાલ છે કે આવો વિરોધાભાસ શા માટે? જો સ્થિતિ સામાન્ય છે તો પ્રતિબંધ શા માટે મૂક્યો અને અને જો સ્થિતિ ગંભીર છે તો દેશની જનતાને એની માહિતી કેમ આપવામાં આવતી નથી? ખેડૂતો, સામાન્ય અને નાના ઉદ્યોગો અને ટ્રક ઓપરેટરો હાલ મુશ્કેલીમાં મુકાયા છે. આજે કાળાબજારી રોકવાના નામે તમે સામાન્ય ગ્રાહકોની શા માટે હેરાન કરી રહ્યા છો?
વધુમાં પાર્ટીના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે જણાવ્યું હતું કે, જો સરકારને ખબર હતી કે સંગ્રહખોરી થઈ શકે એમ છે તો સરકારે અગાઉથી આયોજન કરવાનું હતું પરંતુ સરકાર આયોજન કરી શકી નહીં. તો આને અમે સરકારની નીતિગત નિષ્ફળતા ગણાવીએ છીએ. સરકારને ખબર હતી કે સંગ્રહખોરી અને કાળાબજારી થઈ રહી છે તો એ કાળાબજાર કરનાર લોકો ઉપર કાર્યવાહી કરવાની હતી અને સામાન્ય લોકોને આમાંથી દૂર રાખવાના હતા, સરકાર એ કરી શકી નહીં. તો મારે આ સરકારને કહેવું છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય સંકટ આવ્યું છે ત્યારે વિશ્વગુરુ અને મોટી મોટી વાતો કરનારી આ સરકાર દેશની જનતાને સુરક્ષા આપી શકી નથી. આજે તમે ખેડૂતો, ટ્રક ઓપરેટરો, નાના ઉદ્યોગો પર મર્યાદા લાદી રહ્યા છો પરંતુ સરકારી તાયફાઓ ખુલ્લેઆમ થઈ રહ્યા છે, નેતાઓના કાફલાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને તમામ પ્રકારના સરકારી કાર્યક્રમો થઈ રહ્યા છે પણ ત્યાં કાપ મુકવામાં આવ્યો નથી. માટે સરકારે પહેલા આ તમામ વસ્તુ પર કાપ મૂકીને ગુજરાતની જનતા સમક્ષ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ.