અમદાવાદ : આમ આદમી પાર્ટી ગુજરાત પ્રભારી ગોપાલ રાયએ વિડીયોના માધ્યમથી જણાવ્યુ હતુ કે 5 જૂન, 2026ના રોજ દેશના લાખો વિદ્યાર્થીઓ અને યુવાનો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા કે કદાચ દેશના વડાપ્રધાન શિક્ષણ વ્યવસ્થાને ખાડે ધકેલનાર શિક્ષણ મંત્રીને પદ પરથી હટાવશે. જે રીતે નીટની પરીક્ષામાં પેપર લીક થયું, જે રીતે CBSEની ઉત્તરવહીઓમાં ગેરરીતિઓ સામે આવી, જે રીતે SSCની પરીક્ષાઓમાં અફરાતફરી મચી અને જે રીતે કેન્દ્રીય યુનિવર્સિટીઓની પ્રવેશ પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડ્યું, તેના કારણે દેશભરમાંથી એક જ અવાજ ઉઠી રહ્યો હતો કે હવે શિક્ષણ વ્યવસ્થામાં ઐતિહાસિક પરિવર્તનની જરૂર છે. પરંતુ 5 જૂનની સાંજ પૂરી થતાં દેશના વિદ્યાર્થીઓ અને યુવાનોની આશાઓ પણ તૂટી ગઈ. એવું લાગે છે કે સરકાર પોતાની સત્તાના અહંકારમાં એટલી ડૂબી ગઈ છે કે તેને લાગે છે કે કોઈ તેમનું કંઈ બગાડી શકશે નહીં.
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રભારી ગોપાલ રાયએ વધુમાં જણાવ્યું હતુ કે હું તેમને યાદ અપાવવા માંગુ છું કે 5 જૂન, 1974ના રોજ પટનાના ગાંધી મેદાનમાં લોકનાયક જયપ્રકાશ નારાયણે વિદ્યાર્થી-યુવાનોને "સંપૂર્ણ ક્રાંતિ"નો નારો આપ્યો હતો. આજે અમારી માંગ માત્ર એટલી છે કે શિક્ષણ મંત્રીને હટાવવામાં આવે. પરંતુ જો સરકાર હઠ પર અડી રહેશે તો દેશના વિદ્યાર્થી અને યુવાનો પાસે વ્યવસ્થામાં પરિવર્તન લાવવાની અને સંપૂર્ણ ક્રાંતિ સર્જવાની પણ શક્તિ છે. હું દેશના તમામ વિદ્યાર્થી અને યુવાનોને કહેવા માંગુ છું કે જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય છે, ત્યારે આપણું બંધારણ આપણને પોતાનો અવાજ ઉઠાવવાનો અને લોકશાહી રીતે સંઘર્ષ કરવાનો અધિકાર આપે છે. હવે સમય આવી ગયો છે કે આપણે સૌ મળીને આ લડાઈ લડીએ.
આમ આદમી પાર્ટી ગુજરાત