અમદાવાદ / જૂનાગઢ / ગુજરાત : આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ’આપ’ ના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે સિંહ સંરક્ષણ અને ગીરના સ્થાનિકોના પ્રશ્નો અંગે પોતાની વાત રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, વિશ્વ સિંહ દિવસની સાચી શુભકામનાના હકદાર ગીરના માલધારીઓ અને આસપાસના ખેડૂતો છે, જેમના સહયોગથી જ સિંહોની વસ્તી વધીને આજે ૮૦૦થી વધુ થઈ છે. સરકારી કર્મચારીઓ ફરજના પૈસા લે છે, પરંતુ આ સ્થાનિકો કોઈપણ આર્થિક વળતર વિના પોતાના કિંમતી પશુઓના ભોગ અને નુકસાન વેઠીને પણ સિંહોનું જતન કરે છે. શહેરમાં બેસીને સિંહપ્રેમ દર્શાવવો સરળ છે, પણ ખરી પરિસ્થિતિ સમજવા ગીરના ગામડાંમાં પરિસ્થિતિઓ વચ્ચે રહેવું પડે. તાજેતરમાં સિંહ દ્વારા માણસનો શિકાર કરવાની બનેલી ઘટનાઓ દુઃખદ છે; પરંતુ વાસ્તવિકતા તપાસ્યા વગર ગીરના ખેડૂતો કે માલધારીઓ પર સિંહને હેરાન કરવાનો આક્ષેપ મૂકવો તદ્દન ખોટો અને અયોગ્ય છે.
’આપ’ નેતા પ્રવીણ રામે ઉમેર્યું કે, સિંહ ક્યારેય સહજ રીતે માણસનો શિકાર કરતો નથી; જો સિંહના સ્વભાવમાં આવો ફેરફાર આવ્યો હોય, તો સરકારે અને સિંહપ્રેમીઓએ તેના સાચા કારણોનો અભ્યાસ કરવો જોઈએ. જંગલમાં યોગ્ય કટિંગ અને જાળવણીના અભાવે ઘાટી ઝાડીઓ વધી જતાં સિંહોને પ્રાકૃતિક શિકાર મેળવવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે તેઓ માનવ વસાહતો તરફ આવી રહ્યા છે. સરકારે સાચાં કારણો શોધવાના બદલે ગીરનાર ચડવા પર રજિસ્ટ્રેશન કે સ્થાનિક રોજીરોટી આપતા બિનકાયદેસર રિસોર્ટ બંધ કરવા જેવા પગલાં લીધા છે. હું બિનકાયદેસર પ્રવૃત્તિઓને સમર્થન નથી આપતો, પરંતુ સરકારે તેને નિયમિત કરીને સ્થાનિકોની રોજગારી બચાવવી જોઈએ. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે મારી સરકારને અપીલ છે કે જેમણે સિંહને સાચવ્યા છે તેવા ખેડૂતો અને માલધારીઓની રોજીરોટી પર લાત ન મારો, સ્થાનિકો સાથે બેસીને સમસ્યા સમજો અને સિંહ સંરક્ષણ માટે યોગ્ય નીતિ બનાવો.
આમ આદમી પાર્ટી ગુજરાત