અમદાવાદ : ભરૂચ AAP નેતાઓની ધરપકડ મુદ્દે આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે AAP ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, ભરૂચ જિ.પં.સભ્ય રજનીભાઈ વસાવા અને ઝઘડિયા તાલુકા પ્રમુખ સર્જન વસાવાની ગઈકાલે ધરપકડ થઇ છે. હું ગુજરાતી જનતાને સવાલ પૂછવા માગું છું કે આમ આદમી પાર્ટીના નેતાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મજબૂતાઈથી ભરૂચ જીલ્લામાં ઔદ્યોગિક એકમોમાં થતાં અક્સ્માતમાં મૃત્યુ પામેલા કે ઘાયલ થયેલા કામદારો માટે ન્યાયની માંગણી કરવી શું ગુનો છે? કંપનીઓમાં છાસવારે દુર્ઘટના બને છે તેમાં સ્થાનિકો અને કામદારોનો જ ભોગ લેવાય છે, મૃત્યુ પામનારા કે ઘવાયેલા કામદારોના પરિવારોને કંપની માલિકો ગણકારતા ન હોય ત્યારે આવા પીડિત પરિવારો રાજકીય આગેવાનોનો સહારો લેતા હોય છે .
ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટન એકસાઈકેમ પ્રા.લિ. કંપની બાબતે પણ આવું જ બન્યું , કંપનીમાં બ્લાસ્ટ થયો, એક કામદારનુ મૃત્યુ થયું, ત્રણ-ચાર લોકો ગંભીર રીતે દાઝેલા હોય જેમને સુરતની હોસ્પિટલમાં દાખલ કર્યા, બીજા દિવસે બીજા કામદાર ભાઈનું મૃત્યુ થયું, ત્યારે પીડિત પરિવારે જીલ્લા પ્રમુખ પિયુષભાઈનો સંપર્ક કર્યો અને પિયુષભાઈએ ધારાસભ્ય ચૈતરભાઈનો સંપર્ક કર્યો અને કામદારોને ન્યાય અપાવવા ચૈતરભાઈ અને પિયુષભાઈ આમ આદમી પાર્ટીની ટીમ સાથે કંપનીએ પહોંચ્યા. આમ, કામદારોના પ્રશ્નો મુદ્દે અવાજ ઉઠાવવો ભાજપ સરકાર ગુનો સમજે છે. ભાજપ સરકાર હંમેશા કંપની માલિકોના ફાયદાનું કામ કરે છે આજે સમગ્ર ગુજરાતમાં ખેડુતોની જે દુર્દશા છે તે વીજ કંપનીઓને ફાયદો કરાવવાની ભાજપની નિતીને કારણે છે. AAP નેતાઓ અને કાર્યકર્તાઓ ખેડૂતો, યુવાનો, મહિલાઓ, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, કામદારો, ગરીબ અને મધ્યમ વર્ગના તમામના મુદ્દાઓને ઉઠાવે છે અને તેમના ન્યાય માટેની માંગણી કરતા આવ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગુજરાતની જનતાના પ્રાણ પ્રશ્નો ન ઉઠાવે અને જનતાના પ્રશ્નોનું નિરાકરણ ન આવે એટલા માટેઅમારો અવાજ દબાવવાનો પ્રયાસ સત્તા પક્ષ દ્વારા થઈ રહ્યો છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા યાકુબ ગુરજીએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રજાના પ્રશ્નો મજબૂત રીતે ઉઠાવ્યા, માટે તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આમ આદમી પાર્ટી ભરૂચમાં પોતાનું મજબૂત સંગઠન બનાવી રહી છે. નેતાઓ અને કાર્યકર્તાઓની મહેનતથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જિલ્લામાં બીજા નંબરે રહી છે. માટે આમ આદમી પાર્ટીને દબાવવા અને નેતાઓને ઝુકાવવા માટે તથા આમ આદમી પાર્ટીના સંગઠનને તોડવા માટે સત્તા પક્ષ દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. અમે જનતાને કહેવા માંગીએ છીએ કે અમે પ્રજા માટે લડતા આવ્યા છીએ અને લડતા રહીશું. અમને ન્યાયતંત્ર પર ભરોસો છે. સરકાર દ્વારા લોકશાહીના લીરેલીરા ઉડાવવાનું જે કામ કરવામાં આવી રહ્યું છે એને જનતા સમક્ષ મૂકવું જરૂરી છે. સત્તાધીશો નથી ઇચ્છતા કે આદિવાસી લોકો, ગરીબ અને મધ્યમવર્ગના લોકો આગળ આવે અને એમને સારી સુવિધાઓ મળે, તો આવા સત્તાધીશોને હવે ઓળખવાની જરૂરત છે. હવે જનતાએ ટૂંક જ સમયમાં આ લોકોને જાકારો આપવો પડશે અને પ્રજાના પ્રશ્નો મુદ્દે જે નેતાઓ-કાર્યકર્તાઓ લડી રહ્યા છે તેમને જનતાના સમર્થન અને સાથ સહકારની જરૂર છે. તો આવા લોકોને ન્યાય મળે અને એ લોકો વધુ મજબૂતીથી પ્રજાના પ્રશ્નો ઉઠાવે એ માટે પ્રજા એમને સપોર્ટ આપે એવી વિનંતી કરીએ છીએ. આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ ભાજપની દબાણ અને ડરાવવાની નીતિથી ડરશે નહીં, આમ જનતા માટે લડતા રહેશે.
આમ આદમી પાર્ટી ગુજરાત