માહિતી બ્યુરો : સુરત શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ લિંબાયત, ડિંડોલી અને સારોલીના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે અસરગ્રસ્ત નાગરિકો સાથે સંવાદ સાધી તેમની મુશ્કેલીઓ જાણી હતી.
મુલાકાત દરમિયાન તેમણે પાણી ભરાયેલા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું, તેમજ સ્થાનિક દુકાનદારો, સોસાયટીના રહીશો અને અસરગ્રસ્ત પરિવારો સાથે સંવાદ સાધી તેમની મુશ્કેલીઓ, નુકસાન અને જરૂરીયાતોની જાણકારી મેળવી નાગરિકોને જરૂરી સહાય સમયસર પહોંચે તે માટે વહીવટી તંત્રના અધિકારીઓને આદેશ આપ્યો હતો.
શ્રી સંઘવીએ અધિકારીઓને વરસાદી પાણીના ઝડપથી નિકાલ, સફાઈ કામગીરી, વીજ પુરવઠાની સુચારુ વ્યવસ્થા તેમજ આરોગ્ય અને સ્વચ્છતા અંગે વિશેષ તકેદારી રાખવા સૂચના આપી હતી. સાથે જ અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ્સ અને ઘરવખરી સહાય વહેલી તકે આપવાની તાકીદ કરી હતી.
મુલાકાત દરમિયાન સ્થાનિક રહીશોની મુશ્કેલી, સમસ્યાઓઓને ગંભીરતાથી સાંભળી નાયબ મુખ્યમંત્રીએ તેના તાત્કાલિક ઉકેલ માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી.
આ મુલાકાતમાં ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, મેયર શ્રીમતી માયાબેન માવાણી, સુરત જિલ્લા પ્રભારી સચિવ શાલિની અગ્રવાલ, મ્યુ.કમિશનર એમ.નાગરાજન, પો.કમિશનરશ્રી વાબાંગ જમીર, સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી રાજનભાઈ પટેલ, મનપાના અધિકારીઓ જોડાયા હતા.