અમદાવાદ/જામનગર/ગુજરાત : રાજ્યમાં માત્ર ચોમાસામાં જ નહીં પરંતુ સામાન્ય દિવસોમાં પણ રોડ રસ્તાઓની હાલતને લઇને જનતાની ફરિયાદોનો અવાજ ઉઠતો હોય છે. એ પછી શહેર હોય કે ગામડું, જ્યાં જુઓ ત્યાં રોડ- રસ્તાની હાલત એટલી ખરાબ છે કે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠે છે. રાજ્ય સરકાર દ્વારા કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે આમ છતાં રોડ રસ્તાની હાલત સુધરતી નથી. તો સવાલ એ થાય છે કે આટલો ટોલ ટેક્સ વસૂલવવા છતાં પણ રસ્તાઓની હાલત કેમ સુધરતી જોવા મળતી નથી? આમ આદમી પાર્ટી પણ આ બાબતે ચિંતિત છે, ત્યારે AAPના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ રાજ્ય સરકાર પાસે વસૂલવામાં આવતો ટોલ ટેક્સ બંધ કરવા માંગ કરી હતી અને અને તાત્કાલિક ધોરણે રોડ રસ્તાની પરિસ્થિતિ સુધારવા માટે અવાજ ઉઠાવ્યો હતો.
આમ આદમી પાર્ટી જામજોધપુરનાં ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું હતું કે એક તરફ ગુજરાતનાં તમામ રોડ રસ્તાઓની હાલત ખરાબ છે. એ પછી ગામડા હોય, શહેર હોય કે પછી હાઇવે હોય, દરેક રસ્તાને હાલત ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે, ત્યારે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા ટોલ ટેક્સનાં નામે છેલ્લા પાંચ વર્ષમાં 8702 કરોડ રૂપિયા જેવી જંગી રકમ ગુજરાતના લોકો પાસેથી વસૂલવામાં આવી છે. આ પૈસામાંથી રસ્તા સુધારવાના હોય તેની જગ્યાએ રાજ્ય સરકારે પોતાની વાહવાહી કરવામાં ખર્ચો કર્યો છે. અમુક રસ્તાઓમાં રસ્તા બનાવવાના ખર્ચ કરતા ડબલ પૈસાનું ઉઘરાણુ કર્યું હોવા છતાં પણ ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. આ ટોલટેક્સ તાત્કાલિક બંધ થવો જોઈએ રસ્તાઓની હાલત વહેલી તકે સુધરે તે બાબતે રાજ્ય સરકારે યોગ્ય પગલાં લેવા જોઇએ.