અમદાવાદ/ગુજરાત : કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના ગોળ ગોળ નિવેદન સામે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને ખેડૂત નેતા સાગર રબારીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી છે એ વાત તેઓ ભૂલી ગયા લાગે છે. બે દિવસ પહેલા એમને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, 21,70,000 ખેડૂતોએ વરસાદથી નુકસાનીના ફોર્મ ભર્યા છે. એ જ નિવેદનમાં તે નીચે કહે છે કે 27,70,885 અરજીઓ છેલ્લા દસ દિવસમાં અમને જિલ્લા મથકોએ મળી છે.
આ બંનેમાંથી કયો આંકડો સાચો છે? જો બંને સાચી અરજીઓ છે તો નુકસાનની અરજી કરનાર કુલ ખેડૂતોની સંખ્યા 49,40,000 થાય. બીજી બાજુ આગળ એ જ નિવેદનમાં આગળ એવું કહે છે કે, ખેડૂતોની અમને 2,02,000 અરજીઓ મળી હતી એના માટે અમે 1138 કરોડ રૂપિયા જુદા ફાળવ્યા હતા. તો આ બધું મળીને કેટલા ખેડૂતોને નુકસાની થઈ? ખેડૂતોએ અરજી કરી એની સામે વળતર ચૂકવ્યું કે નહીં? કયા તાલુકાથી કામ શરૂ કર્યું? મોઘમ મભમ એમ કહે છે કે કામ શરૂ થઈ ગયું છે. કામ શરૂ થવું અને ખાતામાં પૈસા પડવા બંન્નેની વચ્ચે બહુ લાંબુ અંતર છે.
ખેડૂત નેતા સાગર રબારીએ વધુમાં કહ્યું હતું કે, જીતુભાઈ આગળ નિવેદનમાં એવું પણ કહે છે કે કેટલીક જગ્યાએ અમે પૈસા ચૂકવવાનું શરૂ કરી દીધું છે. હું જીતુભાઈને કહેવા માગું છું કે તમે કૃષિ મંત્રી છો. તમારી પાસે આંકડા હોવા જોઈએ કે ઓગસ્ટ-સપ્ટેમ્બર માટે કેટલા ખેડૂતોની અરજી આવી? કેટલી મંજૂર થઈ? કેટલા ખેડૂતોને પૈસા ચૂકવ્યા? કેટલા ખેડૂતોના પૈસા ચૂકવવાના બાકી છે? એવી જ રીતે આ માવઠાના નુકસાનની કુલ કેટલી અરજીઓ જિલ્લા વાર આવી? કેટલી અરજીઓ જિલ્લા વાર મંજૂર થઈ? કેટલી અરજીઓ નામંજૂર થઈ? નામંજૂર થવાના કારણો અને કેટલા ખેડૂતોના ખાતામાં પૈસા નંખાવ્યા અને કેટલા ખેડૂતોના ખાતામાં પૈસા ક્યારે નાખવાના છો? એ તમારે ખેડૂતોને કહેવાનું હોય.મોઘમ મભમ વાત મંત્રી કરે નહીં. એનો સાદો અર્થ એ છે કે તમે મૂર્ખ બનાવો છો. સમય ખેંચી રહ્યા છો. બાર મહિના સુધી અમારા ખાતામાં પૈસા આવે એવી આશા અમને દેખાતી નથી.


