મુખ્ય સામગ્રી પર જાઓ

રાજુલા નજીક પેટ્રોલ-ડીઝલના ટેન્કરમાં ભીષણ આગ: ભાવનગર-સોમનાથ હાઇવે ૨ કલાક સુધી બંધ

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા નજીક છતડીયા અને ભેરાઈ ગામ વચ્ચે ઈંધણ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. પીપાવાવથી ૧૯,૦૦૦ લીટર ડીઝલ અને ૫,૦૦૦ લીટર પેટ્રોલ ભરી બગસરા જઈ રહેલા ટેન્કરમાં અચાનક આગ ભભૂકતા હાઇવે પર ૨ કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.

રાજુલા નજીક પેટ્રોલ-ડીઝલના ટેન્કરમાં ભીષણ આગ: ભાવનગર-સોમનાથ હાઇવે ૨ કલાક સુધી બંધ

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા નજીક છતડીયા અને ભેરાઈ ગામ વચ્ચે પેટ્રોલ અને ડીઝલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગની ઘટનાના પગલે હાઇવે પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.મળતી માહિતી મુજબ ટેન્કર પીપાવાવથી બગસરા અને વડીયા તરફ જઈ રહ્યું હતું. ટેન્કરમાં આશરે ૧૯, હજાર લીટર ડીઝલ અને ૫,  હજાર લીટર પેટ્રોલ ભરેલું હતું. આ માલ બગસરા અને વડીયાના બે પેટ્રોલ પંપ માલિકોનો હોવાનું જાણવા મળ્યું છે.

ટેન્કરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા રાજુલા ફાયર બ્રિગેડ, ૧૧૨ ઇમરજન્સી ટીમ તેમજ રાજુલા અને પીપાવાવ મરીન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગની ગંભીરતા જોતા રાજુલા સહિત આસપાસની વિવિધ કંપનીઓની ફાયર ટીમોને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી.ઘટનાના પગલે સુરક્ષાના ભાગરૂપે નાના વાહનોને વાયા રાજુલા તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા જેથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે. ભારે જહેમત બાદ ફાયર ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં ટેન્કર સંપૂર્ણપણે બળી ને ખાખ થઈ ગયું હતું, જોકે ટેન્કરમાં રહેલા પેટ્રોલ અને ડીઝલને કોઈ મોટું નુકસાન થયું ન હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર કામગીરી દરમિયાન રાજુલા મામલતદાર, રાજુલા અને પીપાવાવ વિસ્તારની ફાયર ટીમો તેમજ રાજુલા પી.આઈ. કોલાદરાના માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટાફ,જી.આર.ડી.ના જવાનો, ૧૧૨ ટીમ, સ્થાનિક આગેવાનો અને છતડીયા ગામના સરપંચ સહિતના લોકોએ ૪૨ ડિગ્રી તાપમાન વચ્ચે સતત બે કલાક સુધી હાઇવે પર ટ્રાફિક નિયંત્રણ અને સુરક્ષા કામગીરી સંભાળી હતી.

પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા સતત તકેદારી રાખવામાં આવી હતી અને વાહનોને યોગ્ય માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. તંત્રની સમયસર અને સંકલિત કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

સંબંધિત સમાચાર